ગાંધીનગરઃ એક તરફ કોરોના વાઈરસ ફેલાવાનો ભય અને બીજી તરફ કુદરત પણ રિસામણાં મનામણાં રમતી રહે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાજેતરમાં જ કરા સાથે કમોસમી વરસાદ થયો છે. બીજી તરફ ખેડૂતોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તરફથી મળી રહેલી છૂટનો કોઇ લાભ હજી સુધી મળી રહ્યો નથી. તેવી ફરિયાદો ઊઠી છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ખેડૂતોને બે મહિનામાં જ આશરે ૧,૨૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર ફળ-શાકભાજીના ખેડૂતોને જ માર્ચ અને એપ્રિલ (અંત) સુધીના બે મહિનામાં આશરે રૂ. ૧૧૦ કરોડનું નુકસાન થઇ શકે છે. રવી પાકમાં સામેલ એરંડા, ઘઉં અને મસાલાનો પાક તો તૈયાર છે, પરંતુ મજૂર અને મશીનો નહીં મળતા લણણીનું કામ થતું નથી. એગ્રો કન્સલ્ટન્ટ નિર્મલ યાદવ કહે છે કે, કેળા, ચીકુ, દાડમ, તડબૂચ જેવા જલદી ખરાબ થતા પાકને વધુ નુકસાન થઇ રહ્યું છે. બીજી બાજુ ઘઉં, મસાલા અને એરંડાના પાક તૈયાર છે. પાક. ખરી જતાં ૧૦ ટકા એટલે ૧૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ગયું છે.